Selaiya Akhyan - Akhyan | RekhtaGujarati

સેલૈયા આખ્યાન

Selaiya Akhyan

ભોજા ભગત ભોજા ભગત
સેલૈયા આખ્યાન
ભોજા ભગત

(કડવું ૧લું)

હરિ ગુરુ સંતને સમરીએ ને વળી, ચોથા તે ગણપતિ દેવ રે;

રિદ્ધિસિદ્ધિ ને લક્ષ લાભ આપે, તેની સહુ પે’લી કરીએ સેવરે.

ગાવા તે ગુણ હરિભક્તના, જેને સત્યે થંભ્યો આસમાન રે;

સત્ય વિના કદી સાહેબ રીઝે, મરને પઢે વેદ પુરાણ રે.

સગાળ શેઠ ને સંધ્યાવતી, જો જો નેમવંતી નરનાર રે;

એક સાધુ જમાડી પછી પોતાને જમવું, એવો અહોનિશ ધર્મ ઉદાર રે.

એક સમયે એને અટક પડી ને, મેઘ મંડાણો મુસળધાર રે;

પર્જન્ય રૂઠ્યો દિન આઠ સુધી, તોયે સત છોડે પડકાર રે.

વરસીને રહ્યો ત્યારે વકીલ તેડાવ્યા, તમે દેખોને દોદશ ધાઈ રે;

અભ્યાગત વિના મારે અન્ન ખપે, તેનો કરોને કોક ઉપાઈ રે.

વાણોતર ચાલ્યા ગોતવા, જોયું નગર ને હરિદ્વાર રે;

તળાવની પાળે એક તપસ્વી દીઠો, તેનો આવીને કહ્યો સમાચાર રે.

સગાળ શેઠને સત્ય મુકાવાને, કોઢી થયા કરતાર રે;

આવી દેવળમાં ઊતર્યા, જેણે શરીર કર્યું છે બેજાર રે.

શેઠ તે કાને સાંભળી ધ્રોડ્યા, અણવાણા ઉજાઈ રે;

પરિક્રમા દઈને પાય લાગ્યા, એને હૈડે હરખ માય રે.

દુર્ગંધ આવે ને ભૂત નાસે, વળી મળે તેમાં ખાય નેક રે;

તોય ડગે મન શેઠનું ભાઈ, એવી મોટાની ટેક રે.

તેનાં ચરણ ધોઈ ચરણામૃત લીધાં, મારાં સીધ્યાં તે સર્વે કાજ રે;

કર જોડીને પછે કહેવાને લાગ્યો, મારે મંદિર પધારો મહારાજ રે.

સત્યવાદીએ સાહેબને ઓળખ્યા, એનો માનવી શું જાણે મર્મ રે;

ભોજલના સ્વામી મારે ભુવન પધારો, મારી રાખોને લાજ ને શર્મ રે.

(કડવું ૨જું)

અતીત વાણી ઊચરે તમે સુણો, શ્રીમંત મારી વાત રે;

મારી કાયા મારે હાથ નથી, મુને પીડા કરે છે ઉત્પાત રે.

રથે રેવંત જોતરું, માંહી ગાદી નખાવું ગોપાળ રે;

તેડીને બેસારું તમને ત્રિકમા, તમે દયા કરો દીનદયાળ રે.

સાધુ કહે છે શેઠને ઘોડા વહેલનું નહિ મારે કામ રે;

અભ્યાગતને રહેવું એકલું તમો મા લેજો મારું નામ રે.

પ્રભુજી મંગાવું પાંજરું આંહી, ઝાઝી કરાવું જતન રે;

પવન લાગે એવા પડદા બંધાવું, રાખે રાંક જેમ હાથ રતન રે.

અભ્યાગત એણી પેરે બોલિયા, હું તો તો આવું નગર મોઝાર રે;

તારી નારી આવે તેડવા, નીકર બેઠો છું હું તો મોરે બાર રે.

મન ગમતું ખાવું અમે માગીને લેશું, એમાં જાશે તમારો ભર્મ રે;

સર્ભંગી સાધુને સોત્ય નહિ ઝાઝી, ભાઈ કઠણ અમારું ખટકર્મ રે.

હરખેથી હરિજન ચાલિયો, ને આવ્યો પોતાને ઘેર રે;

પત્નીને લાગ્યો પૂછવા, આપણે શી કરવી એની પેર રે.

સતી કહે છે સ્વામી મારા, તમે ઢીલ કરજો લગાર રે;

તત્ક્ષણ જઈએ આપણ તેડવા, તો માનવી નહિ છે મોરાર રે.

સામૈયું લઈને સન્મુખ ચાલ્યાં, ગયાં પૂર્વ જન્મનાં પાપ રે;

ભોજલના સ્વામીને ભેટતાં, એના દળી ગયા ત્રિવિધ(ના) તાપ રે.

(કડવું ૩જું)

કનક હિંડોળી ને કરંડિયો માંહી, જુગ્તે બેસાર્યા જદુવીર રે;

સંધ્યાવતીએ જ્યારે શિર પર લીધા, ત્યારે ભીંજાણા સતીનાં ચીર રે.

નગરના લોક ટોળે મળ્યા, વળી જોવાને વર્ણ અઢાર રે;

અન્યોઅન્ય વાણી ઊચરે, માંહી હાંસી કરે છે હજાર રે

ઊનાં જળ મેલીને સ્નાન કરાવ્યાં, વળી પોઢાડ્યાં પલંગ બિછાઈ રે;

ચંદન ચરચે હરિનાં ચરણ તળાંસે, વળી વીંજણે ઢોળે છે વાઈ રે.

પ્રેમ કરીને પ્રસાદ નિપાયા, મીઠા મેવાને પકવાન રે;

હાથ જોડીને આગળ હરિજન ઊભા, તમો આરોગો મારા શ્યામ રે.

અન્ને કરી દેહ મારો અગ્નિ કરે છે, મારે છે માટી કેરો હાર રે;

ઉત્તમ વરણ તમે કેમ કરશો, મારે મોટો છે વિચાર રે.

કસાઈવાડેથી તરત મંગાવ્યું, જેણે મેલી લોકની લાજ રે;

ભાગ્ય મોટાં હરિ ભુવન પધાર્યા, ધન્ય ધન્ય દહાડો મારે આજ રે.

અનેક રૂપ અમે અહોનિશ કરીએ, ને વળી રહીએ વનમાંહી રે;

અઘોરપંથીને એક હાર માણસનો, વિના બીજું ખપે મારે કાંઈ રે.

નરને નારી મળી એકઠાં, હવે શો તે કરવો ઉપાય રે;

પ્રભુજી જોવાને આવ્યા પારખાં, જો ના કહીએ તો સત્ય જાય રે.

પુત્રને ચાલી પૂછવા ગયો, નિશાળે શેઠ સગાળ રે;

સુતને કહે છે કે એક સાધુ આવ્યો છે, કરવા તમારો દેહકાળ રે.

સેલૈયો કહે સત્ય કેમ મેલીએ રે, મરની જડામૂળથી જાય રે;

ભોજલ કહે સત્યવાદી ભાઈડા રે, તો અટક પડે ઓળખાય રે.

(કડવું ૪થું)

પિતાજી કાયા તો રે અંત પડવાની,

બોલ્યા બુદ્ધિ ઉજાગર બાળ રે;

સાધુને હાથે મારું મૃત્યુ સુધરશે,

ટળશે જન્મ મરણનો જંજાળ રે.

આગે મોરુધ્વજે પિતા! અંગને વહેરાવ્યું,

કર્ણે કીધું કાયાનું દાન રે;

શિબિ રાજાની માટી છાબે તોલાણી,

ત્યારે રીઝ્યા’તા ભગવાન રે.

હરિશ્ચંદ્રને માથે પિતા! હેલ પાણીની,

એવો દૈવે દીધો’તો દંડ રે;

સત્યવાદી બંદા કદી સત્ય છોડે,

મરની ભાંગી પડે બ્રહ્માંડ રે.

હિંમત રાખો પિતા હાર પામો,

તમે જુઓ મોટાના મર્મ રે;

પરમાર્થ સારું આગળ પ્રાણ હોમ્યાતા,

તોય છોડ્યા નો’તા સત્યધર્મ રે

દધિચિ ઋષિને જાચ્યા દેવતા,

જેના વાંસાનું કરવા વજર રે;

કુ’વાડે અંગને માંડ્યું કાપવા,

તોય બોલ્યા નહિ બુદ્ધિના સાગર રે.

શિર(તો) મળશે પણ આવો સમય નહિ મળે,

ઘરે મોહન થયા છે મહેમાન રે;

અવસર આવ્યે પાછાં પગલાં ભરીએ,

કરીએ તન મન ને ધન કુરબાન રે.

એવો પડકારો જ્યારે પિતાને કીધો,

ત્યારે હરિજન થયા છે હુશિયાર રે;

પુત્રનાં વચન કાને સાંભળીને,

એની છાતીમાં પડી ગયા શાર રે.

ચાકેથી પિંડો જેમ સર્વી ઉતારે,

એમ સેલૈયે કાપ્યું શીશ રે;

આગળ લઈને અર્પણ કર્યું,

ત્યારે જોઈ રહ્યા જગદીશ રે.

બહુનામી કહે છે બાઈને રે,

તમે સોળ કરો શણગાર રે;

ગાતાં (ને) વાતાં હસ્તાં શબને સુધારો ,

તમે રખે (કોઈ) રોતાં નહિ લગાર રે.

કળપિત દાન હું તો કોઈનું નથી લેતો,

મારે આગુની છે એવી ટેવ રે;

ભોજલનો સ્વામી કહે છે ભાવે કરીને,

હવે તૈયાર કરોની તતખેવ રે.

સતીએ તે કાજલ સારિયાં ને રે,

ખાંડવા બેઠાં તેણીવાર રે;

હાલરડાં ગાતાં બાઈ હરખેથી,

(કીધું) તમે ભોજન કરો નંદકુમાર રે.

સાર હતું તે તમે શીંકે ચઢાવ્યું,

કાયા આણો છો મારે કામ રે;

ભૂખે મૂઆની ભાળી ભક્તિ તમારી,

મને મેલી આવો મારે ઠામ રે.

ખાંડણિયામાં માથું વહાલે ફરી ખંડાવ્યું,

કહેવા લાગ્યા વચન કઠણ રે;

સુરપતિ તાપ તેનો સહી શક્યો,

ભાગ્યો ઇંદ્ર મેલીને ઇંદ્રાસન રે.

જમવા ટાણે જોગેશ્વર બોલ્યા,

તમે સાંભળો મોરી માઈ રે;

વાંઝિયાનું અન્ન ખાવું વરજિત છે,

એમ શ્રુતિ કહે છે સમજાઈ રે.

દૈવને કહે છે એક રમત દેખાડું,

હવે માટી થાજે મહેરબાન રે;

તુંને આવી ટેવ મુકાવું ને,

કૃષ્ણ ઝલાવું કાન રે.

પંચમાસનો ગર્ભ અમારે,

અમે વાંઝિયાં નથી મોરા નાથ રે;

સતીએ ઉદર જ્યારે ચીરવા માંડ્યું,

ત્યારે હરિએ તે પકડ્યા હાથ રે.

ધન્ય ધન્ય સત્યવાદી તમે ધર્મ રાખ્યો,

જોયું મરજીવું તમારું મન રે;

સુતને વેધીને મારું સન્માન કીધું,

એમ શ્રીમુખ બોલ્યા વચન રે.

માગ્ય માગ્ય સત્યવાદી તને શું આપું,

એમ કહે છે કરુણાનિધાન રે;

આવી કસણી દેજો રે કોઈને,

સ્વામી માગું વરદાન રે.

પરબ્રહ્મ પોતે પ્રગટ થયા,

જેનો વેદ પામે પાર રે;

સેલૈયાને સજીવન કીધો,

ત્યારે વરતાણો જેજેકાર રે.

સેલૈયા આખ્યાન તમે સાંભળો,

એવી રીતે રીઝ્યા’તા રામ રે;

ભોજો ભગત એમ બોલિયા,

જેનું નવખંડમાં રાખ્યું નામ રે.

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 83)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
  • વર્ષ : 1939
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ